Vachanamrut Chintan Set in English
આશીર્વચનીયમ્ વચનામૃત એ ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના કરુણાસભર સંકલ્પથી પ્રવાહિત થયેલું નિઝરણું છે. સમુદ્રમંથનના સારરૂપે પ્રાપ્ત થયેલા અમૃત સમાન સર્વ શાસ્ત્રોના દોહન રૂપે પ્રાપ્ત થયેલું નવનીત છે. સર્વ શાસ્ત્રોના સારરૂપ વચનામૃતો કદી ન કરમાય એવા મઘમઘતાં પુષ્પો છે. વચનામૃત એ ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિની દિવ્ય ને પરાવાણી છે. ગુરુ શિષ્યોના નિર્દોષ અને નિખાલસ સંવાદ સેતુથી સર્જાયેલી ઔપનિષદી પ્રશ્નોત્તર શૈલી એ વચનામૃતની આગવી વિશિષ્ટતા છે. આ ગ્રંથમાં મુમુક્ષુની યોગ્યતા અને પાત્રતા અનુસાર કામ, ક્રોધ, લોભાદિક અંતઃશત્રુના નિવારણના સુંદર, સરળ અને સચોટ ઉપાયો બતાવી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભકિતરૂપી મંગલ ચતુષ્ટયની સિદ્ધિના ઉપાયો પણ બતાવ્યા* છે. મુમુક્ષુને અધ્યાત્મ પથ પર આવતા તમામ પ્રશ્નોના સમાધાનની જડીબુટી એટલે વચનામૃત. મુમુક્ષુ દશામાંથી મુકતભાવની પ્રાપ્તિ કરાવનાર અનુપમ અને અણમોલ આ વચનામૃત ગ્રંથ પતિતને પાવન, સાધકને સિદ્ધ, મુમુક્ષુને મુક્ત અને જીવને બ્રહ્મ બનાવનારો ગ્રંથ છે. ગુણાતીત ૫રં૫રાના તેજસ્વી ગગનમંડળમાં સૂર્ય સમાન કાંતિમાન સદ્વિદ્યા સદ્ધર્મરક્ષક સદ્ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી એક સાચા સદ્ગુરુ હતા. વચનામૃતના રહસ્યો અને શ્રીજીના સિદ્ધાંતોનું રસપાન કરાવ્યું છે આ સદ્ગુરુએ પોતાના શિષ્યોને. પૂ. શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર પૂ. શ્રી દેવપ્રસાદદાસજીએ સંસ્કૃત અને વેદાંતનો સારો અભ્યાસ કર્યો છે. શ્રી હરિએ માન્ય અને પ્રમાણિત કરેલા તેમજ અન્ય સત્શાસ્ત્રોનું ઊંડું અધ્યયન અને વિશાળ વાંચન કરી ધનુર્માસમાં તેમની કથાઓ પણ કરી છે. વચનામૃત ઉપર તેમને પ્રથમથી જ ખૂબ પ્રીતિ અને રસ છે. ઘણા વર્ષો સુધી સ્વામી સાથે રહીને સાંજની સભા દ્વારા તેમણે સ્વામી પાસેથી વચનામૃતનું પાન કર્યું છે. સંયમી, તપસ્વી, ભજનપરાયણતા અને અભ્યાસશીલતાથી વચનામૃતો એમણે પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યા છે. ટૂંકમાં એટલું જરૂર કહી શકાય કે એમની નિત્ય નવીન જિજ્ઞાસા, રસપૂર્વકનું ચિંતન, વચનામૃત પ્રત્યેની ભક્તિ અને મોટા સંતોના રાજીપાના ફળ સ્વરૂપે આ અમૂલ્ય ગ્રંથના દર્શન અને વાંચનનો આપણને લાભ મળ્યો છે. આજે પણ આંધ્રપ્રદેશ જેવા ૫૨પ્રાંતના હૈદરાબાદ જેવા મહાનગરમાં ગુરુકુલ શાખાના સંચાલનની સંપૂર્ણ જવાબદારી સફળતા પૂર્વક સંભાળી રહેલ છે. તામિલ, તેલુગુ, મરાઠી વગેરે બિનગુજરાતીભાષી બાળકોને અંગ્રેજી માધ્યમથી શિક્ષણ સાથે સંસ્કાર અને જીવનનું મોક્ષમૂલક ભાથું પીરસી ભગવાન શ્રી સ્વામિનારાયણની ઓળખાણ કરાવી મોટા સંતો અને મહારાજનો રાજીપો મેળવી રહ્યા છે. પ્રત્યેક વચનામૃત ઉપર મનન ચિંતન કરી મનોવૈજ્ઞાનિક વિશ્લેષણથી લોકભોગ્ય ભાષામાં સદૃષ્ટાંત વિવેચનાત્મક વિવરણ લિપિબધ્ધ કર્યું છે. મૂળ વચનામૃતને કેન્દ્રમાં રાખીને જ વિવરણ કરવામાં આવ્યું છે. સંપ્રદાયના ઈતિહાસમાં વચનામૃત ઉપર ખાસ કોઈ લખાણ કે વિવેચન ગુજરાતી ભાષામાં થયેલ નથી. કોઈક કોઈક જગ્યાએ પ્રયાસ થયો છે પણ પ્રત્યેક વચનામૃતના પ્રત્યેક પ્રશ્નને ધ્યાનમાં રાખીને આવી સરળ ભાષામાં વિવેચન થયેલ નથી. આ અપૂર્વ પ્રયાસ છે જે સંપ્રદાયના ઈતિહાસમાં ગૌરવરૂપ છે. પૂ. દેવપ્રસાદદાસજીના મુખે બોલાયેલી દરેક વચનામૃતની ઓડિયો કેસેટ પણ ઉપલબ્ધ છે. સત્સંગ સમાજ તેનો પણ લાભ લે એવું ઈચ્છીએ છીએ. મોક્ષભાગી જીવાત્માઓ વચનામૃતના જ્ઞાન દ્વારા મહારાજના મૂળ સિદ્ધાંતોને સમજી પોતાનું આત્યંતિક કલ્યાણ પામી શકે એવા આશયથી આ 'વચનામૃત ચિંતન' ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. પુરાણી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ શાસ્ત્રોના સિદ્ધાંતો અને પોતાના અનુભવોને સાથે રાખીને વચનામૃતનો તલસ્પર્શી અભ્યાસ કરી આ સુંદર ગ્રંથ તૈયાર કર્યો છે. ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ તેમના ઉપર વિશેષને વિશેષ પ્રસન્ન થાય એવી પ્રાર્થના સહ.... સાધુ દેવકૃષ્ણદાસના હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ
Variants (1)
- Default Title — 480.00 INR — In stock
AI Readiness
Good foundation, but some important product data is still missing.