Sarsiddhi Vivechan

Sarsiddhi Vivechan

Brand: Shreeji Online Store
25.00 INR In stock Buy at Merchant

ભગવાન શ્રીસ્વામિનારાયણ આ ભૂમંડળમાં પધાર્યા અનંત મુક્તોને પણ સાથે લાવ્યા. ભગવાન શ્રીસ્વામિનારાયણના સમકાલીન હજારો નંદસંતોમાં સદ્ગુરૂ શ્રી નિષ્કુળાનંદ સ્વામી એટલે ત્યાગ અને વૈરાગ્યનું મૂર્તિમંત સ્વરૂપ. સ્વામીજીરચિત `નિષ્કુળાનંદ કાવ્ય' એ સંપ્રદાયનો અતિ અમૂલ્ય ગ્રંથ છે, જેમાં સ્વામીજીએ અનેક વિષયોનાં સચોટ, શાસ્ત્રીય અને લોકભોગ્ય ઉદાહરણો આપીને નિરૂપણ કર્યું છે. `નિષ્કુળાનંદ કાવ્ય' અંતર્ગત `સારસિદ્ધિ' ગ્રંથ ભગવાનને માર્ગે ચાલેલા મુમુક્ષુ માટે જીવનનો ખરો સાર શું છે? શ્રીજીમહારાજને શી રીતે રાજી કરી શકાય? એનું સચોટ નિરૂપણ આ ગ્રંથમાં થયું છે. સ્વામીજી આ ગ્રંથના પ્રથમ કડવામાં જ કહે છે કે, `શોધી સાર સર્વે તણો, લૈ લેવો લાભ લાલચ્યે કરી, આવ્યો અવસર ઓળખી, રાજી કરવા શ્રીહરિ.' સત્સંગ થયા પછી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચારેયથી યુક્ત એવું એકાંતિકપણું જ જીવનનો ખરો સાર છે. શ્રીજીમહારાજને રાજી કરી તેમનો રાજીપો સિદ્ધ કરવો એ જ સાચી સિદ્ધિ છે એમ સ્વામીજીએ આ ગ્રંથમાં અનેક દૃષ્ટાંતો તથા યુક્તિઓ દ્વારા સમજાવ્યું છે. સાચો વૈરાગ્ય ઃ તે સ્પષ્ટ કરતા સ્વામીજી કહે છે કે ખાલી વિષયત્યાગ એ સાચો વૈરાગ્ય નથી; સાચો વૈરાગ્ય તો હરિ પ્રત્યેના સાચા અનુરાગમાંથી જ પ્રગટે છે અને એવો `તીવ્ર' તથા `બૃહદ્' વૈરાગ્ય તો કોઈક વિરલ સંતને જ હોય છે. દેહાભિમાનથી પર રહી નાના-મોટા દેહધારીઓને સરખા ગણવા અને માન-અપમાન, સુખ-દુઃખની અનુકૂળતા-પ્રતિકૂળતામાં પણ અંતરથી ન ડગવું એ સાચા વૈરાગ્યની પરખ છે. સાચી ભક્તિ ઃ ભક્તિને સ્વામી મીણના દોરા અને સોનાના દોરાના દૃષ્ટાંતથી સમજાવે છે. મીણનો દોરો ઠંડીમાં કડક ને ગરમીમાં ઢીલો પડી જાય, જ્યારે સોનાનો દોરો સર્વ ઋતુમાં એકસરખો દૃઢ રહે છે. તેમ સાચી સેવાભક્તિ પણ પરિસ્થિતિ પ્રમાણે બદલાય નહિ, માત્ર મહારાજને રાજી કરવાના હેતુથી જ દૃઢતાપૂર્વકની હોવી જોઈએ. સાચો ધર્મ ઃ ધર્મ વિનાનું જીવન અધૂરૂં છે એમ સમજાવતા સ્વામી કહે છે કે ધન, કુટુંબ, દેહસુખ કે અન્ય કોઈપણ વસ્તુ ધર્મની તોલે આવતી નથી; ધર્મ પાળે એ જ ખરો ધર્મી અને ધર્મ થકી જ મહારાજની પ્રસન્નતા પમાય છે. સાચું જ્ઞાન ઃ જ્ઞાનીની સાચી ઓળખાણ એ છે કે તેને હરિની મૂર્તિનું જ્ઞાન હોય અને પોતાના અંતરમાં સદાય મહારાજની મૂર્તિ ધારી રાખે; તે વિના શાસ્ત્રજ્ઞાન એકલું પૂરતું નથી. સંત-અસંત વિવેક ઃ સાચા સંતો કીર્તિ, પદવી કે જાહેરાતની ભૂખ રાખ્યા વિના મૌન રહે છે અને અંતરથી નિર્દોષ હોય છે, જ્યારે પ્રશંસાની ભૂખવાળા પુરૂષો બહારના પટ અને પ્રસિદ્ધિમાં જ અટવાયેલા રહે છે. સાચા સંતના સંગ વિના જીવની શંકા-કુશંકા ટળતી નથી. મહારાજનું પુરૂષોત્તમપણું ઃ ગ્રંથના ઉત્તરાર્ધમાં સ્વામી સમજાવે છે કે જે મહારાજનો સાક્ષાત્ આશ્રય કરી, તેમને પુરૂષોત્તમ અવતારી જાણી સેવે છે, રાજી કરે છે, તેને કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. આ સર્વે સારભૂત વાતોના અંતે જીવ મહારાજના સાક્ષાત મેળાપનો, અક્ષરધામના સુખનો અધિકારી બને છે. ગ્રંથના વિવેચક ઃ સદ્ગુરૂ પુરાણી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી પૂજ્ય ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય અને આદર્શ સાધક છે. સાંપ્રદાયિક ગ્રંથના અભ્યાસની સાથે સાથે સંસ્કૃત અને અન્ય શાસ્ત્રોના ઊંડાણપૂર્વકના અભ્યાસથી તેમણે વચનામૃત, શિક્ષાપત્રી, નિષ્કુળાનંદ કાવ્ય, ભગવદ્ગીતા, યોગસૂત્ર આદિ ગ્રંથોના વિવેચન દ્વારા અનેક મુમુક્ષુઓને સત્સંગનું પોષણ કર્યું છે. `સારસિદ્ધિ' અંતર્ગત ભગવાનની સાચી ઓળખાણ તથા ભક્તના એકાંતિકપણાના મર્મનું વિવેચન કરીને પૂજ્ય દેવપ્રસાદદાસજી સ્વામીએ જીવનમાં રહેલી ગાફલાઈ, અણ-સમજણ અને ખામીઓને ઉજાગર કરી તે દૂર કરવા આપણી સમક્ષ લાલબત્તી પણ ધરી છે. આ પુસ્તક તૈયાર કરવામાં શાસ્ત્રી શુકવલ્લભદાસજી સ્વામી, સાધુ રસિકવલ્લભદાસજી સ્વામી તેમજ પ્રૂફ તપાસણી કરવામાં પાર્ષદ વશરામ ભગત, પ.ભ. રમણીકભાઈ રૂપારેલિયા મનીષભાઈ ચાંગેલા, પીયૂષ કણસાગરા આદિ સંતો-ભક્તજનોએ શ્રીહરિની પ્રસન્નતાર્થે ઉમદા સેવા બજાવી છે. આ સહુ સંતો ભક્તો અને આ ગ્રંથનું સેવા સેવા સૌજન્ય સ્વીકારનાર ઉપર શ્રીહરિ પ્રસન્ન થાઓ. આ ગ્રંથનું વાંચનપઠન કરનાર સૌ કોઈ મુમુક્ષુ અને સાધક ભક્તજનોને ભગવાનના માર્ગે ચાલવાનું જરૂર બળ પ્રાપ્ત થશે એવી આશા સાથે શ્રીહરિ સૌ કોઈનું મંગળ વિસ્તારે એ જ અભ્યર્થના.

Variants (1)
  • Default Title — 25.00 INR — In stock

How AI sees this product

The more complete this product's details, the more confidently AI assistants can understand and recommend it.

80%